૧૦મી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસઃ આદિકાળથી સિંહ માનવજીવન અને સંસ્કૃતિનો ભાગ

--- જંગલનો રાજા ખેડૂતોનો શ્રેષ્ઠ મિત્ર બની રહે છે –ગીરના ખેડૂતોનો સદીઓનો અનુભવ છે

--- ત્રણ વર્ષમાં ૧૨૫ વખત સિંહના વિચરણઃ રાની પશુઓથી પાકને રક્ષણ

--- જે ખેતરમાં સિંહ હોય ત્યાં નીલગાય, ભૂંડ આવતા નથી
 

“સિંહ માણસનો અને માણસ સિંહનો મિત્ર છે” – ગીરના જંગલમાં બોલાતી આ કોઈ સામાન્ય ઉક્તિ નથી, પણ સદીઓથી જીવાતી હકીકત છે. ગીરના લોકો સિંહ સાથે અને સિંહ ગીરના લોકો સાથે સદીઓથી સુમેળથી જીવી રહ્યા છે.સિંહએ જંગલી પ્રાણી કે જંગલનો રાજા માત્ર નહીં, પણ માનવ-જીવન, સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. શકુંતલા પુત્ર ભરતે સિંહબાળના દાંત ગણ્યાનો મહાભારતના આદિપર્વનો પ્રસંગ તથા પુરાણમાં આવતી ભગવાન નૃસિંહની કથા આ જ વાતની પ્રતીતિ કરાવે છે.સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે ૧૦મી ઓગસ્ટે ‘‘વિશ્વ સિંહ દિવસ’’ની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૪મા સ્વાતંત્ર્ય પર્વે પોતાના પ્રવચનમાં સિંહના જતન-સંવર્ધન માટે ‘પ્રોજેક્ટ લાયન’ની જાહેરાત કરી હતી. તો ગુજરાત સરકારે પણ ‘લાયન@૨૦૪૭ વિઝન ફોર અમૃતકાળ’ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યું છે. જેમાં સિંહના સંવર્ધન અને જતન માટેનું સુચારુ  આયોજન તૈયાર કરાયું છે. ગુજરાતમાં રમાયેલી નેશનલ ગેમ્સમાં મેસ્કોટ તરીકે “સાવજ” જ્યારે મેઈક ઈન ઈન્ડિયાના લોગોમાં પણ સિંહનું ચિત્ર મુકવામાં આવ્યું છે. જે સિંહની લોકપ્રિયતાનો પુરાવો છે.

ગીરના જંગલની સરહદો ઓળંગીને રાજકોટમાં પણ સિંહોના ધામા

ગુજરાતમાં આઝાદી પૂર્વે એક સમયે જૂજ સંખ્યામાં પહોંચી ગયેલા સિંહની વસતી હવે વધી રહી છે. વર્ષ ૨૦૨૦ની ગણતરી મુજબ, ગુજરાતમાં સિંહની વસતી ૬૭૪ થઈ છે. સિંહ હંમેશા નવા નવા વિસ્તારો શોધતો રહે છે. આ સ્વાભાવિક ક્રમમાં આગળ વધતાં, સિંહ ગીરના જંગલની સરહદો ઓળંગીને રાજકોટ જિલ્લાની હદમાં જોવા મળી રહ્યા છે. રાજકોટ વન કચેરી પાસેથી મળેલી વિગતો મુજબ, વર્ષ ૨૦૨૦થી લઈને ૨૦૨૨ દરમિયાન રાજકોટ જિલ્લામાં ૧૨૫થી વધુ વખત અલગ-અલગ સમયે સિંહ વિચરણ કરતા દેખાયા છે. જેમાં નવેમ્બર ૨૦૨૦થી જાન્યુઆરી ૨૦૨૧ દરમિયાન એક સાથે આઠ સિંહનું જૂથ જેતપુરના બાવા પીપળીયા, અકાળા, ખારચીયા, જેતલસર વગેરે પંથકમાં વિહાર કરતું જોવા મળ્યું હતું. આ સિવાય મોટા ભાગે એક, બે તથા ત્રણ-ત્રણ સિંહ વિહરતા જોવા મળ્યા છે.

રાજકોટ જિલ્લામાં સિંહ ખાસ કરીને રાજકોટ ઉત્તરમાં સરધાર, જસદણના વિંછિયાના જંગવડ, પાંચવડા, ઉપલેટા, કોટડાસાંગાણી, જેતપુર, રાજકોટ દક્ષિણમાં સાંગણવા, ભાયાસર, લોઠડા, ધોરાજીમાં નાની પરબડી, છાડવાવદર, પીપળીયા, ભોળા, લોધિકાના જુની મેંગણી વગેરે વિસ્તારમાં વિહરતા દેખાયા છે.આ અંગે રાજકોટના નાયબ વનસંરક્ષક (સામાજિક વનીકરણ) શ્રી તુષાર પટેલ જણાવે છે કે, જેતપુર, ગોંડલ, જસદણ, ધોરાજી, ઉપલેટા પંથકમાં વિહરતા સિંહ ક્યારેક રાજકોટના આજી વિસ્તાર સુધી પહોંચી જાય છે. સિંહના અભ્યાસુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટ જિલ્લામાં જેતપુર પાસે ગીરનાર નજીકથી સિંહ આવતા હોય છે. ગોંડલ પંથકમાં અમરેલી સાથે જોડાયેલી સરહદ કુંકાવાવ, સુલતાનપુર, ભાદર તથા ખંભાલીડા વિસ્તારમાં સિંહની અવર-જવર જોવા મળી છે. જસદણ પંથકમાં અમરેલી જિલ્લાના બાબરા, કોટડાપીઠા વિસ્તારમાં સિંહોનું આવન-જાવન જોવા મળે છે. જ્યારે ધોરાજી, ઉપલેટા વિસ્તારમાં જુનાગઢથી સિંહો આવાગમન કરતા હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.  

તુષાર પટેલના જણાવ્યા પ્રમાણે, રાજકોટ-મોરબી જિલ્લાનો સંયુક્ત વન વિસ્તાર ૩૫ હજાર હેક્ટર છે. આ વિસ્તારમાં કોઈ સિંહ પરિવારનો કાયમી વસવાટ નથી. પણ વિચરણ કરતા સિંહો અહીં આવી ચઢતા હોય છે ખરા, પરંતુ ફરી પાછા મૂળ વિસ્તારમાં જતા રહે અથવા તો ટ્રેકર(સિંહનો પીછો કરનાર) વળાવી દે છે.  તેમના જણાવ્યા પ્રમાણે, સિંહ ક્યારેય માણસ પર હુમલો નથી કરતો, તેનું મારણ નથી કરતો. ગીરના જંગલમાં ખેડૂતો, માલધારીઓ, લોકો સિંહ સાથે સહજીવનથી ટેવાઈ ગયા છે. પરંતુ રાજકોટ જિલ્લાના લોકો માટે હજુ સ્થિતિ નવી છે. આથી સિંહ દેખાય તો તેઓ ચિંતિત થઈ જાય છે કે ગભરાઈ જાય છે. દરેક ખેડૂતને ખેતરના પાકની ચિંતા હોય છે. આજે નીલગાયની સંખ્યા વધી છે. નીલગાય અને જંગલી ભૂંડ ખેતરોમાં ઘુસીને ઊભા પાકને નુકસાન પહોંચાડતા હોય છે, પરંતુ જે ખેતરોમાં સિંહની અવરજવર હોય ત્યાં આ બંને પ્રાણી ફરકતા નથી. તેઓ સિંહની ગંધથી જ દૂર રહે છે. આમ સિંહના કારણે વાડી-ખેતરના રક્ષણ થાય છે. સિંહ ક્યારેક પાલતુ પશુના શિકાર કરે છે પરંતુ આ કુદરતી ક્રમ છે. વનવિભાગ આ બદલ વળતર પણ ચૂકવતું હોય છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

તુષાર પટેલ વધુમાં જણાવે છે કે, રાજકોટ જિલ્લામાં જે જે વિસ્તારોમાં સિંહ દેખાય છે, ત્યાંના લોકોએ સિંહનું મહત્ત્વ જાણવું પડશે. ખેડૂતોને સિંહનું મહત્ત્વ સમજાવવા રાજકોટ વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૬૬ જેટલી કિસાન શિબિરો કરવામાં આવી છે, જ્યારે ૫૩ જેટલી પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજીને વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા છે. જ્યારે મોરબીના નાયબ વન સંરક્ષક ચિરાગ અમીનના જણાવ્યા પ્રમાણે, રાજકોટ અને મોરબી રેન્જમાં સિંહનો કાયમી વસવાટ નથી. છતાં આ પંથકમાં આવી ચઢતા સિંહની અવરજવર પર નજર રાખવા જેતપુરમાં બે, ગોંડલમાં એક તથા જસદણમાં એક ટ્રેકર રાખવામાં આવ્યા છે.

સિંહના વસવાટની પ્રક્રિયા અંગે તેઓ જણાવે છે કે, સિંહ સામાન્ય રીતે નવા સીમાડાઓ શોધતા રહે છે. પછી ધીમે ધીમે તેના વસવાટનો વિસ્તાર વિકસે છે. હાલ દરિયાઈ પટ્ટીમાં ગાંડા બાવળ જોવા મળે છે, તે સિંહને સંતાવા માટે તથા વિસામા (હાઇડિંગ એન્ડ રેસ્ટિંગ)ના સલામત સ્થળ તરીકે જોવામાં આવ્યા છે. ભવિષ્યની સંભાવનાને ધ્યાનમાં રાખતાં, જસદણ તાલુકામાં ૧૫૦૦ હેક્ટરમાં ફેલાયેલું ઉમઠ ગ્રાસલેન્ડ તેમજ હાથસણી, ફુલજર, જંગલ વિસ્તાર તેમજ હિંગોળગઢ વિસ્તાર સિંહ વસવાટના પેચ તરીકે ડેવલપ થઈ રહ્યા છે. ભવિષ્યમાં સિંહનું સાહજિક સ્થળાંતર થાય ત્યારે આ વિસ્તાર ઉપયોગી થઈ શકે. તેમણે જણાવ્યું હતું કે, અહીં કરમદાના ૧૦૦ ગ્રૂવ્સ ઉછેરવામાં આવ્યા છે. ઉપરાંત ઘાસનું ખુલ્લું મેદાન છે. પાણીના પૂરતા સ્થળો છે. જે સિંહના વસવાટ માટે યોગ્ય વાતાવરણ સર્જે છે.૧૦મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે “સિંહ માનવનો મિત્ર છે” એ સમજીને “માણસ પણ સિંહનો મિત્ર” બનીને તેના જતન-સંવર્ધનમાં સહભાગી બને એ જરૂરી છે.