પૂજા ગાયકવાડની સિધ્ધિ : મનાલીથી લેહ સુધી ૪૮૬.૮ કિમીની સાયકલિંગ ૯ દિવસમાં પૂર્ણ

પૂજા ગાયકવાડની સિધ્ધિ : મનાલીથી લેહ સુધી ૪૮૬.૮ કિમીની સાયકલિંગ ૯ દિવસમાં પૂર્ણ  

---પૂજા ગાયકવાડે  અત્યાર સુધીમાં ૨૫ વખત ૧૦૦ કિમીની સાયકલ યાત્રા કરી

વડોદરા શહેરની ૩૫ વર્ષીય પૂજા ગાયકવાડ આ વર્ષના માર્ચ મહિનામાં જ પહેલીવાર મનાલી થી લેહ સુધીની ૪૮૬.૮ કિમીની કઠિન કહી શકાય એવી સાયકલ યાત્રા ફકત ૯ દિવસમાં પૂર્ણ કરી છે આ અનોખી સિધ્ધિ મેળવનાર પૂજા ગાયકવાડે  પોતાના વિચારો અને અનુભવો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,અમારું ૭૧ લોકોનું ગ્રુપ હતું પરંતુ એમાંથી ફક્ત ૫૦ લોકો જ આ સફર પૂર્ણ કરી શક્યા જેમાં વડોદરા જિલ્લા તરફથી બહેનોમાં ફકત હું જ હતી. અમને એજન્સી તરફથી એક કીટ આપવામાં આવી હતી જેમાં ઓ.આર.એસ, ડ્રાય ફ્રૂટ્સ, જ્યુસ તેમજ અમુક અમુક જગ્યાઓએ રોકાણ કરવા માટેના કેમ્પ રાખવામાં આવ્યા હતા જ્યાં અમારા માટે નાસ્તા-પાણીની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મનાલી થી લેહ સુધીના સફર સમયે શ્વાસ લેવામાં તકલીફ થવી, શ્વાસ ચડી જવો, ખૂબ જ ઠંડી લાગવી, ૮૦૦ મીટરનું ચઢાણ પણ વચ્ચે આવ્યું હતું તેમજ વચ્ચે વચ્ચે વરસાદ પડવો જેવી ઘણી મુશ્કેલીઓ વારાફરતી આવતી હતી પરંતુ મેં મનમાં નક્કી જ કર્યું હતું કે, આ સફર પૂર્ણ કરીને જ રહીશ અને મેં એ આખરે કરી દીધી એમ પૂજા ગાયકવાડે પોતાના અનુભવો જણાવતાં કહ્યું હતું.

---મહિલા કંઈપણ કરવા સક્ષમ છે,પૂજા ગાયકવાડે સાબિત કર્યું

પૂજા ગાયકવાડ પોતે પરિણીત છે, વર્કિંગ વુમન હોવા ઉપરાંત એક સફળ સાયકલિસ્ટ પણ છે. તેણે એમ. એસ. યુ. ખાતે બી. કોમ. કર્યું હતું. અત્યારે તે પ્રાઇવેટ કંપનીમાં ડેટા પ્રોસેસ એનાલિસિસ તરીકે કામ કરે છે. તેના પતિ સચિન ગાયકવાડ પણ એક સારા દોડવીર છે. બન્નેની સવાર દરરોજ સવારે ૫ વાગ્યે થઈ જાય છે. અઠવાડિક શિડ્યુલમાં ૩ દિવસ દોડવું, ૨ દિવસ સાયકલિંગ, ૧ દિવસ વર્કઆઉટ અને ૧ દિવસ આરામ કરવામાં ફાળવે છે. અઠવાડિક ૧૦૦ કિમીનું અંતર પૂર્ણ કરવાનો ધ્યેય રાખનાર પૂજા ગાયકવાડ ૨ વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ૨ વાર ભરૂચ સુધીની સાયકલિંગ સફર તે કરી ચુકી છે એમ તેણીએ વધુમાં જણાવ્યું હતું.દરેક પરિણીત અને વર્કિંગ વુમન માટે પ્રેરણારૂપ બનનાર પૂજા ગાયકવાડ ૨૦૨૦ માં સાયકલિંગ કરવાનું શરૂ કર્યું હતું. ૩ વર્ષથી સતત તે રેગ્યુલર સાયકલિંગ કરે છે. શરૂઆતમાં તેને સાયકલિંગ કરવામાં ઘણી તકલીફ પડતી હતી પરંતુ હવે તે સાયકલ થકી ફિટનેસ મંત્ર અન્ય લોકોને પોતાના જ ઉદાહરણ દ્વારા આપવા માંગે છે. તેણે ૮ માર્ચ ૨૦૨૦ ના વુમનસ ડે ના રોજ સાયકલ ખરીદી હતી. તેણીએ ફકત ૨ કિમી સાયકલિંગ કરીને સાયકલિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ અમદાવાદ ખાતે યોજાતી નાઈટ અલ્ટ્રા રનમાં ૨૦૨૨ માં ભાગ લઈને ૭૨ તેમજ ૨૦૨૩ માં ૭૮ કિમીની દોડ પૂર્ણ કરી હતી. ઉપરાંત લોનાવાલામાં યોજાયેલ ટાટા અલ્ટ્રા રનમાં પણ તેણીએ ભાગ લઈ ૫૦ કિમીની દોડ પૂર્ણ કરી હતી.આમ, પૂજા ગાયકવાડે પોતાના ઉદાહરણ થકી દરેક બહેનોને પોતાના ધ્યેયને વળગી રહેવા અને દરેક બહેનો કંઈપણ કરી શકવા સક્ષમ હોય છે. એ સાથે ફિટનેસ ધ્યાને રાખતાં સાયકલિંગ એ બેસ્ટ વિકલ્પ છે એમ તેમણે ઉમેર્યું હતું.