વિશ્વના નકશામાં વડનગર એક પ્રાચીન નગર તરીકે ઉભરશે

વડનગરનો ઈતિહાસ ખુબ જ જુનો છે. કહેવાય છે કે પાંડવકાળમાં ત્યાં પાંડવો વસવાટ કરતાં હતાં. વડનગર આખુ પુરાતત્વ અવશેષોથી ભરેલું છે. ત્યાં ગમે તે જગ્યાએ ખોદકામ કરતાં જમીનમાંથી કંઈકને કંઈક અવશેષો મળી આવે છે. અત્યાર સુધી વડનગરની જમીનમાંથી ખોદકામ દરમિયાન કેટલાયે પ્રકારના પુરાતત્વો મળી આવ્યાં છે જે આ વાતની સાબિતી આપે છે કે વડનગર પહેલાંના સમયમાં એક મહાન અને મહત્વનું નગર હશે.

- ટૂંક સમયમાં વડનગરની કાયાપલટ થશે

લગભગ 28000ની વસ્તી ધરાવતું ગુજરાતનું વડનગર ગામ હકીકતમાં 2500 વર્ષ જૂનું ભારતનું છઠ્ઠું સૌથી પ્રાચીન વસવાટ કરતું નગર છે. વડનગરનો ઉલ્લેખ પુરાણો, મહાભારત, રામાયણ અને જૈન આગમોમાં પણ જોવા મળે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અનુસાર વડનગર માત્ર ધાર્મિક અને આધ્યાત્મિક રીતે પ્રાચીન નથી પરંતુ તે પ્રાચીન ભારતનું વેપાર કેન્દ્ર અને મોકાનું લેન્ડ પોર્ટ હતું. "આવનારા વર્ષોમાં વડનગરની કાયાપલટ થવા જઈ રહી છે. વડનગરનું આ મ્યુઝિયમ એક થીમ આધારિત હશે જે 2500 વર્ષના ગાળાને સાત સાંસ્કૃતિક ભાગમાં દર્શાવશે. આ મ્યુઝિયમમાં ખોદકામ સમયે મળી આવેલી 40,000 થી વધુ કલાકૃતિઓ અને પ્રાચીનકાળની નોંધપાત્ર વસ્તુઓ રાખવામાં આવી છે.

- ઉતખનન દરમ્યાન અનેક પ્રાચીન અવશેષો મળ્યા

વડનગરની ધરોહરમાંથી જુદી જુદી સાઇટ પર પુરાતત્વ વિભાગ દ્વારા ઉતખનન કરવામાં આવતા પ્રાચીન સમયના બૌદ્ધ ધર્મના અવશેષો, બુદ્ધ મઠ, બુદ્ધ સ્તૂપ, સોલંકી ક્લીન ઇમારતોની દીવાલ, મંદિરના સ્ટ્રક્ચર, હાડપિંજર, બંગળી, શંખ, મોતી, માટીના વાસણો વગેરે ચીજ વસ્તુઓ મળી આવી છે તો વિશેષ પ્રકારના સ્ટ્રક્ચરમાં બૌદ્ધ મઠ અને સ્તૂપ બાદ કારખાના જેવું સ્ટ્રક્ચર , મોટા માટલા અને હાડપિંજર જેવી રચનાઓ, મોટી અને લાંબી દીવાલો, કુંડ, દિશા ચક્ર અને કેપસુલ આકાર ની રચના મળી છે. અહીં 1000 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે. ખોદકામ દરમિયાન શંખની કલાત્મક બંગડીઓ, ચાંદી, તાંબા-પિતળના સિક્કા, માટીના વાસણો અને મકાનો મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, અહીં મળી આવેલા મકાનો ગાયકવાડો અને સોલંકીકાળનાં છે.  પાકા રસ્તા, ગટર અને પાણીની સુવ્યવસ્થિત વ્યવસ્થા પણ દેખાઇ રહી છે. ઉત્ખનન દરમિયાન ત્રીજી સદીનું બૌધ્ધ સ્તૂપ અને સમાધિ અવસ્થામાં હાડપિંજર મળી આવ્યા હતા. આ અગાઉ પણ ઉત્ખનન દરમિયાન બૌધ્ધ ધર્મના અવશેષો મળી આવ્યા હતા.

- વડનગરમાં 360 તળાવ, 360 કુવા અને 360 ધર્મસ્થળ

સ્થાનિકોનું કહેવું છે કે 'વડનગરમાં 360 તળાવ, 360 કુવા અને 360 ધર્મસ્થળ છે.' સોલંકીયુગ દરમિયાન વડનગરમાં વાવ અને કૂંડનું પણ બાંધકામ કરવામાં આવ્યું હતું. અમુક અભ્યાસોમાં વડનગર તથા આજુબાજુમાં 50થી વધુ જળસ્રોત મળી આવ્યા છે. તેમાંથી વડનગરના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આવેલા 36 જેટલા જળસ્રોત પરસ્પર જોડાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

- વડનગર ખાતે પ્રથમ ખોદકામ 1953-54 દરમ્યાન થયું હતું

વડનગર ખાતે પ્રથમ ખોદકામ 1953-54માં અને બાદમાં 2006માં ગુજરાત રાજ્ય પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક દ્વારા કરવામાં આવ્યું હતું. 2014 માં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ વડનગરમાં ઘસ્કોલ, દરબારગઢ અને મોટી ગરબાનો શેરી ખાતે ખોદકામ શરૂ કર્યું. પ્રાયોગિક મ્યુઝિયમ બનાવવા માટે 2022 સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું.

- વડનગર: બૌદ્ધ ધર્મનું કેન્દ્ર

ચીની પ્રવાસી ઝુઆનઝાંગ અથવા હ્યુએન ત્સાંગ, જેમણે 641 એડીની આસપાસ વડનગરની મુલાકાત લીધી હોવાનું કહેવાય છે, તેમણે તેમના લખાણોમાં તેને ‘આનંદપુરા’ તરીકે ઓળખાવ્યું છે, જેઓ એ પણ નોંધે છે કે, વડનગરમાં 10 મઠોમાં સંમિતિ શાળાઓ હતી અથવા કેવી રીતે 1,000 થી વધુ સાધુઓ રહેતા હતા. વડનગર બૌદ્ધ શિક્ષણનું મહત્વનું કેન્દ્ર હતું.

- વડગર શહેરના પૌરાણિક છ દરવાજા

અમરથોળ દરવાજો, ઘાસકોલ દરવાજો, પિઠોરી દરવાજો, અમતોલ દરવાજો, અર્જુનબારી દરવાજો, નદીઓલ દરવાજો